ગણ.. 12. અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા. તેઓએ કહ્યું, “શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? “હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું. મૂસા ખૂબ નમ્ર હતો, પૃથ્વી પર નમ્ર તેના જેવો બીજો કોઈ ન હતો. યહોવાહે મૂસા, હારુન અને મરિયમને એકાએક કહ્યું; “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે બહાર આવો.” અને તેઓ ત્રણે બહાર આવ્યાં. પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં. યહોવાહે કહ્યું, “હવે મારા શબ્દો સાંભળો. જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય, તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ. અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ. મારો સેવક મૂસા એવો નથી તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?” પછી યહોવાહનો કોપ તેઓના પર સળગી ઊઠ્યો અને તે તેમની પાસેથી ચાલ્યા ગયા. અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ટરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી. હારુને મૂસાને કહ્યું કે, “ઓ મારા માલિક, કૃપા કરીને અમારા પર આ દોષ ન મૂક. કેમ કે અમે મૂર્ખાઈ કરી અને પાપ કર્યું છે. પોતાની માતા જન્મ આપે તે વખતે જેનું અડધું શરીર ખવાઈ ગયું હોય એવી મૃત્યુ પામેલા જેવી તે ન થાઓ.” તેથી, મૂસાએ યહોવાહને વિનંતી કરી. તેણે કહ્યું કે, ઓ ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે તેને સાજી કરો.” યહોવાહે મૂસાને કહ્યું કે, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે.” આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકોએ આગળ મુસાફરી કરી નહિ. પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.