ગણ.. 26. મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું, “ઇઝરાયલી લોકોની આખી જમાતમાં જેઓ વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના હોય, એટલે કે જેઓ ઇઝરાયલ માટે યુદ્ધમાં જવાને સમર્થ હોય તેઓની તથા તેઓના પિતૃઓના કુટુંબોની ગણતરી કર.” યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે, વીસ વર્ષ તથા તેથી વધારે ઉંમરના લોકોની ગણતરી કરો, જેમ યહોવાહે મૂસાને તથા ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેઓને આજ્ઞા આપી હતી તેમ.” ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો રુબેન હતો. તેના દીકરા હનોખથી હનોખીઓનું કુટુંબ. પાલ્લૂથી પાલ્લૂનું કુટુંબ. હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. કાર્મીથી કાર્મીઓનું કુટુંબ. રુબેનના વંશજોનાં આટલાં કુળો હતાં, તેઓની સંખ્યા તેંતાલીસહજાર સાતસોત્રીસની હતી. પાલ્લૂનો દીકરો અલિયાબ હતો. અલિયાબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા. જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પૃથ્વી પોતાનું મુખ ખોલીને તેઓને કોરાહ સહિત ગળી ગઈ. તે જ સમયે અગ્નિએ બસો પચાસ માણસોનો નાશ કરી નાખ્યો જેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા. તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ. શિમયોનના વંશજોનાં કુટુંબો નીચે પ્રમાણે છે: નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ, ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. શાઉલથી શાઉલીઓનું કુટુંબ. આ શિમયોનના વંશજોનાં કુટુંબો હતાં, જેઓ સંખ્યામાં બાવીસહજાર બસો માણસો હતા. ગાદના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે. સફોનથી સફોનીઓનું કુટુંબ. હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ. ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ. એરીથી એરીઓનું કુટુંબ. અરોદથી અરોદીઓનું કુટુંબ. આરએલીથી આરએલીઓનું કુટુંબ. આ ગાદના વંશજોના કુટુંબો હતા જેઓની સંખ્યા ચાલીસહજાર પાંચસો માણસોની હતી. એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા. યહૂદાના બીજા વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. પેરેસના વંશજો આ હતા એટલે: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. હામૂલથી હામૂલીઓનું કુટુંબ. આ યહૂદાના વંશજોનાં કુટુંબો હતા, જેઓની સંખ્યા છોતેરહજાર પાંચસો માણસોની હતી. ઇસ્સાખારના વંશજોના કુટુંબો આ હતાં એટલે: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પુવાહથી પૂનીઓનું કુટુંબ. યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ. શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ. આ ઇસ્સાખારના વંશજોના કુટુંબો હતા, જેઓની સંખ્યા ચોસઠહજાર ત્રણસો માણસોની હતી. ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ. આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો મનાશ્શા અને એફ્રાઇમ હતા. મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ માખીર ગિલ્યાદનો પિતા હતો, ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ. ગિલ્યાદનાં કુટુંબો આ હતાં: ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ. અને શખેમથી શખેમીઓનું કુટુંબ. શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ. હેફેરના દીકરા સલોફહાદને દીકરા નહોતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. તેની દીકરીઓનાં નામ માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા હતાં. આ મનાશ્શાનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા બાવનહજાર સાતસો માણસોની હતી. એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ. શૂથેલાહના વંશજો, એરાનથી એરાનીઓનું કુટુંબ. આ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા બત્રીસહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો તેઓના કુટુંબોની ગણતરી પ્રમાણે આ છે. બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ. શૂફામથી શૂફામીઓનું કુટુંબ. હૂફામથી હૂફામીઓનું કુટુંબ. બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ. આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી. દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું. શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી. આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ. બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ. આશેરની દીકરીનું નામ સેરાહ હતું. આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી. નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ, યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ. નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી. ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી. પછી યહોવાહે મૂસાને કહ્યું, “તેઓનાં નામોની સંખ્યા પ્રમાણે માણસોને આ દેશનો વારસો વહેંચી આપવો. મોટા કુટુંબને વધારે વારસો આપવો, નાના કુટુંબને થોડો વારસો આપવો. દરેક કુટુંબના માણસોની ગણતરી પ્રમાણે તેમને વારસો આપવો. ચિઠ્ઠી નાખીને દેશની વહેંચણી કરવી. દરેકને તેમના પિતૃઓનાં કુળો પ્રમાણે વારસો મળે. વધારે તથા થોડા કુટુંબોની વચ્ચે ચિઠ્ઠીઓ નાખીને વારસાની વહેંચણી કરવી.” લેવીઓનાં કુટુંબો: તેઓનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તે આ હતી: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ. મરારીથી મરારીઓનું કુટુંબ, લેવીઓનાં કુટુંબો નીચે મુજબ છે: લિબ્નીઓનું કુટુંબ. હેબ્રોનીઓનું કુટુંબ. માહલીઓનું કુટુંબ. મુશીઓનું કુટુંબ. તથા કોરાહીઓનું કુટુંબ. કહાથ આમ્રામનો પૂર્વજ હતો. આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું, તે લેવીની દીકરી હતી, જે મિસરમાં લેવીને ઘરે જન્મી હતી. તેનાથી હારુન, મૂસા તથા તેમની બહેન મરિયમ જન્મ્યા હતા. હારુનની પત્નીએ નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામારને જન્મ આપ્યો. આમ્રામ તેનો પતિ હતો. નાદાબ તથા અબીહૂ યહોવાહ સમક્ષ અમાન્ય અગ્નિ ચઢાવતા મૃત્યુ પામ્યા. તેઓ મધ્યેના જેઓની ગણતરી થઈ તેઓ એટલે એક મહિનો તથા તેનાથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા તેવીસ હજારની હતી. પણ તેઓની ગણતરી ઇઝરાયલ લોકો વચ્ચે થઈ ન હતી, કેમ કે તેઓને ઇઝરાયલ લોકો મધ્યે વારસો મળ્યો ન હતો. મૂસા તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ આ હતા. તેઓએ યર્દનને કિનારે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇઝરાયલ લોકોની ગણતરી કરી. મૂસાએ તથા હારુન યાજકે સિનાઈ અરણ્યમાં ઇઝરાયલના વંશજોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ હતી તેઓમાંનો એક પણ માણસ ત્યાં ન હતો. કેમ કે, યહોવાહે કહ્યું હતું કે આ બધા લોકો અરણ્યમાં મૃત્યુ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ સિવાય તેઓમાંનો એક પણ માણસ બચશે નહિ.