ગી.શા.. 2. વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.” હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે. તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.” તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો. તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.