આમ.. 5. હે ઇઝરાયલના વંશજો તમારા માટે હું વિલાપગીતો ગાઉં છું તે સાંભળો. “ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે; તે ફરીથી ઊભી થઈ શકશે નહિ; તેને પોતાની જમીન પર પાડી નાખવામાં આવી છે; તેને ઊઠાડનાર કોઈ નથી. કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે; જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા, ત્યાં ઇઝરાયલના વંશના માત્ર સો જ લોકો બચ્યા હશે, અને જ્યાંથી સો બહાર આવ્યા હતા ત્યાં માત્ર દસ જ બચ્યા હશે.” કેમ કે યહોવાહ ઇઝરાયલી લોકોને કહે છે કે, “મને શોધો અને તમે જીવશો! બેથેલની શોધ ન કરો; ગિલ્ગાલમાં ન જશો; અને બેરશેબા ન જાઓ. કેમ કે નિશ્ચે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવશે, અને બેથેલ અતિશય દુ:ખમાં આવી પડશે.” યહોવાહને શોધો એટલે જીવશો, રખેને તે યૂસફના ઘરમાં, અગ્નિની પેઠે પ્રગટે. તે ભસ્મ કરી નાખે, અને બેથેલ પાસે તેને બુઝાવવા માટે કોઈ હોય નહિ. તે લોકો ન્યાયને કડવાશરૂપ કરી નાખે છે, અને નેકીને પગ નીચે છૂંદી નાખે છે! જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે! તે બળવાનો પર અચાનક વિનાશ લાવે છે, અને તેઓના કિલ્લા તોડી પાડે છે. તેઓ નગરના દરવાજામાં તેઓને ઠપકો આપે છે, પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે. તમે ગરીબોને પગ તળે કચડો છો, અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો. કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે અને તમારાં પાપ ઘણાં છે, કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો, તમે લાંચ લો છો, અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડુબાવો છો. આથી, જ્ઞાની માણસ આવા સમયે ચૂપ રહેશે, કેમ કે આ સમય ભૂંડો છે. ભલાઈને શોધો, બૂરાઈને નહિ, જેથી તમે કહો છો તેમ, સૈન્યોના ઈશ્વર યહોવાહ તમારી સાથે રહેશે. બૂરાઈને ધિક્કારો, અને ભલાઈ ઉપર પ્રેમ રાખો, દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો. તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવાહ યૂસફના બાકી રહેલા ઉપર દયા કરે. સૈન્યોના ઈશ્વર, પ્રભુ; યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “શેરીને દરેક ખૂણે શોક થશે, અને બધી શેરીઓમાં તેઓ કહેશે, હાય! હાય! તેઓ ખેડૂતોને શોક કરવાને, અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે. સર્વ દ્રાક્ષવાડીઓમાં શોક થશે, કેમ કે હું આ સર્વ જગ્યાઓમાંથી પસાર થઈશ,” એવું યહોવાહ કહે છે. તમે જેઓ યહોવાહનો દિવસ ઇચ્છો છો તેઓને અફસોસ! શા માટે તમે યહોવાહનો દિવસ ઇચ્છો છો? તે દિવસ અંધકારરૂપ છે પ્રકાશરૂપ નહિ. તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી જતાં, અને રીંછનો ભેટો થઈ જાય છે, અથવા ઘરમાં જાય અને ભીંતનો ટેકો લે, અને તેને સાપ કરડે તેવો દિવસ છે. શું એમ નહિ થાય કે યહોવાહનો દિવસ અંધકારભર્યો થશે અને પ્રકાશભર્યો નહિ? એટલે ગાઢ અંધકાર પ્રકાશમય નહિ? “હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, અને તમારાં ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહિ. જો કે તમે તમારાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ લાવશો, તોપણ હું તેનો સ્વીકાર કરીશ નહિ. હું તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોની સામે જોઈશ પણ નહિ. તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો; કેમ કે હું તમારી સારંગીનું ગાયન સાંભળીશ નહિ. તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહિ. પણ ન્યાયને પાણીની પેઠે, અને નેકીને મોટી નદીની જેમ વહેવા દો. હે ઇઝરાયલના વંશજો, શું તમે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં મને બલિદાનો તથા અર્પણ ચઢાવ્યાં હતા? તમે તમારા રાજા સિક્કૂથને અને તમારા તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે. આ મૂર્તિઓને તમે તમારે માટે જ બનાવી છે. તેથી હું તમને દમસ્કસની હદ પાર મોકલી દઈશ,” એવું યહોવાહ કહે છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.