ઝખા.. 2. મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો. મેં કહ્યું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું.” પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો. બીજા દૂતે તેને કહ્યું, “દોડ અને પેલા જુવાનને કહે કે, ‘યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે. કેમ કે, યહોવાહ કહે છે કે, ‘હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.’” યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ ‘વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે. ‘હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી, તું નાસી જા!” કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે કે, જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે. “યહોવાહ કહે છે કે, હું મારો હાથ તેઓ પર હલાવીશ, અને તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે. “સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર, કેમ કે, યહોવાહ કહે છે કે, હું આવું છું, હું તારી સાથે રહીશ.” તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાહની સાથે જોડાશે. તે કહે છે, “તમે મારા લોક થશો; અને હું તમારી વચ્ચે રહીશ.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે. કેમ કે યહોવાહ યહૂદિયાને પોતાના હકના કબજાની જેમ પવિત્ર ભૂમિમાં વારસા તરીકે ગણી લેશે. તે પોતાના માટે ફરીથી યરુશાલેમને પસંદ કરશે. હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે!