2 કરિં.. 2. પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું. કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે? અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે. કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો. પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે. એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે, માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય. એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો; કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં. પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે, કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી. ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો. પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ. કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ. મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે? કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.